ગુજરાતમાં ૩.૨૫ કરોડ લોકોને અન્ન સુરક્ષાનો લાભ: નવેમ્બર-૨૦૨૫નું વિનામૂલ્યે અને રાહત દરે વિતરણ આજથી શરૂ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

ગરીબોને પ્રોટીન સભર પૌષ્ટિક આહાર આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ*

*નવેમ્બર માસ માટે ૭૫ લાખ કુટુંબોને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી*

વ્યાજબી ભાવના દુકાનદારોને માસિક ₹૨૦,૦૦૦ કમિશન આપનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત થઇ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે રાજ્યના ૩.૨૫ કરોડ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નવેમ્બર-૨૦૨૫ માસનું અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ આજથી, ૧લી નવેમ્બરથી, શરૂ કરી દીધું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી પ્રેરિત થઈને, રાજ્ય સરકાર રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા (NFSA) હેઠળ નોંધાયેલા ૭૫ લાખથી વધુ કુટુંબોને પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ વિનામૂલ્યે તેમજ રાહતદરે પૂરી પાડવા કટિબદ્ધ છે. લાભાર્થીઓને વિનામૂલ્યે ઘઉં અને ચોખા ઉપરાંત રાજ્ય સરકારની યોજના હેઠળ તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારોમાં સીંગતેલ અને વધારાની ખાંડ રાહતદરે આપનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.

નવેમ્બર-૨૦૨૫ના આગોતરા આયોજનના ભાગરૂપે, રાજ્ય સરકારે આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરી દીધી છે. અંત્યોદય (AAY) અને NFSAના લાભાર્થીઓ વિતરણથી વંચિત ન રહે તે માટે મોટી માત્રામાં ચલણ (Challans) જનરેટ કરવામાં આવ્યા છે અને તેના નાણાંની ભરપાઈ પણ થઈ ચૂકી છે. બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.

રાજ્ય સરકાર વ્યાજબી ભાવના દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે બાબતે પણ સંવેદનશીલ છે. ગુજરાત સરકાર વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોને અનાજના જથ્થાના વિતરણ માટેના વિવિધ કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમના ભાગરૂપે દર મહિને નિયમિતપણે ₹૨૦,૦૦૦ તેમના બેંક ખાતામાં ચૂકવે છે. આ સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે અને સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાત રાજ્યમાં જ વાજબી ભાવના દુકાનદારોને મિનિમમ ₹૨૦,૦૦૦ કમિશન ચૂકવવામાં આવે છે. સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીના તમામ કમિશનની ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને તમામ વિગતો દુકાનદારના લોગ ઇન (Log-in)માં e-passbook માં ઉપલબ્ધ છે.

વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા કરવામાં આવેલી ₹૩૦,૦૦૦ પ્રતિમાસ મિનિમમ કમિશનની માંગણી સહિતના પડતર પ્રશ્નો અંગે એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સમયાંતરે બેઠકો યોજવામાં આવે છે. તાજેતરમાં રજૂ કરાયેલી ઘણી માંગણીઓ નીતિ વિષયક હોવાથી રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. રાજ્ય સરકાર દ્વારા એસોસિએશનને વિનંતી કરવામાં આવે છે કે અનાજના જથ્થાના વિતરણથી અળગા રહીને ગરીબ રેશનકાર્ડધારકોને આવશ્યક ચીજવસ્તુઓના લાભથી વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી.

‘વન નેશન વન રેશનકાર્ડ’ (ONORC) યોજનાના અમલવારીમાં ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં અગ્રેસર રહ્યું છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુ લાભાર્થીઓએ તેમની પસંદગી મુજબ સમગ્ર રાજ્ય અને દેશમાં ગમે ત્યાંથી બાયોમેટ્રિક ઓળખ દ્વારા અનાજનો જથ્થો મેળવ્યો છે.

વધુ પારદર્શિતા લાવવા માટે, માન. મંત્રીશ્રીની સૂચના અનુસાર, વાજબી ભાવની દુકાન ખાતે ડોર સ્ટેપ ડિલિવરીના સમયે ગ્રામ્ય/શહેરી તકેદારી સમિતિના ઓછામાં ઓછા ૫૦% સભ્યોનું બાયોમેટ્રિક/ઓ.ટી.પી. આધારિત વેરિફિકેશન તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધી લેવાનું રહેશે.
મેહુલ પટેલ ✍️

Leave a Comment

और पढ़ें